નવી દિલ્હી, તા. ૪
સપ્ટેમ્બર મહિના માટેના મોંઘવારી ભથ્થાંના દરમાં કેન્દ્ર સરકાર ૧૦ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. હાલમાં મોંઘવારી ભથ્થાંનો દર ૮૦ ટકા છે જે વધારીને ૯૦ ટકા કરાશે. તહેવારોની મોસમ પહેલાં સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણયને કારણે આશરે ૫૦ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ જેટલા પેન્શનર્સને ફાયદો પહોંચશે..
- મોંઘવારી ભથ્થું ૯૦% થશે : જુલાઈથી અમલની સંભાવના : ૫૦ લાખ કેન્દ્રીય કર્મીઓ, ૩૦ લાખ પેન્શનર્સને ફાયદો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સરકારે કરેલી પ્રાથમિક ગણતરી પરથી મોંઘવારી ભથ્થાંના દરમાં ૧૦થી ૧૧ ટકાનો વધારો થવાની સંભાવના છે. આ દરો ચાલુ વર્ષની ૧લી જુલાઇથી લાગુ પાડવામાં આવશે, તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારીના દરનો ચોક્કસ આંકડો જૂન મહિના માટે ઔદ્યોગિક કામદારો માટેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગણતરી બાદ જ જાણવા મળશે. આ આંકડા ૩૦મી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે. ૩૧મી જુલાઇના રોજ સરકારે બહાર પાડેલા કામચલાઉ આંકડા અનુસાર જૂન મહિનાનો ઔદ્યોગિક કામદારો માટેનો છૂટક ભાવો આધારિત ફુગાવાનો દર ૧૧.૦૬ ટકા હતો, જે મે મહિનાના ૧૦.૬૮ ટકા કરતાં વધારે હતો. સામાન્ય રીતે સરકાર મોંઘવારી ભથ્થાંની ગણતરી માટે છેલ્લા ૧૨ મહિનાનો ઔદ્યોગિક કામદારોનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં લેતી હોય છે. આ રીતે મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ઔદ્યોગિક કામદારોનો જુલાઇ,૨૦૧૨થી જૂન ૨૦૧૩ વચ્ચેનો છૂટક ભાવો આધારિત ફુગાવાનો દર ધ્યાનમાં લેવાશે.
કેન્દ્ર સરકારના કર્મચારી મંડળના મહાસચિવ કે. કે. એન. કુટ્ટીએ જણાવ્યું હતું કે, મોંઘવારીના દરમાં દસ ટકાનો વધારો કરાશે અને તે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થું ૯૦ ટકા સુધી વધારવાની સાથે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાંના ૫૦ ટકા જેટલી રકમ મૂળ પગાર સાથે જોડી દેવી જોઇએ. મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિર્ધારિત માપદંડો લાંબા સમય પહેલાં વટાવી ગયું છે. સામાન્ય રીતે જ્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિયત માપદંડને વટાવી દે ત્યારે તેને મૂળ પગાર સાથે જોડી દેવામાં આવે છે, જો મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગાર સાથે જોડી દેવામાં આવે તો તેના આધારે કર્મચારીઓને મળતાં અન્ય ભથ્થાંઓના વધારામાં મદદ કરે છે.
આશરે ત્રણ વર્ષના સમયગાળા બાદ મોંઘવારી ભથ્થાંમાં બે આંકડાનો વધારો જોવા મળશે. અગાઉ સપ્ટેમ્બર, ૨૦૧૦માં સરકારે ૧૦ ટકાનો મોંઘવારી ભથ્થાંની જાહેરાત કરતી હતી. એપ્રિલ,૨૦૧૩માં મોંઘવારી ભથ્થું ચાલુ વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલી બનતાં દર મુજબ ૭૨ ટકાથી વધારીને ૮૦ ટકા કરવામાં આવ્યું હતું.